ઓડિટરની ગેરલાયકાતો
કંપની ધારાની કલમ ૨૨૬(૩) મુજબ નીચેની વ્યક્તિઓ કંપનીના ઓડિટર તરીકે નિમી શકાય નહીં:
૧) નોંધાયેલ સંસ્થા (કંપની).
૨) કંપનીનો કોઈ અધિકારી કે કર્મચારી.
૩) કંપનીના કોઈ અધિકારી કે કર્મચારીનો ભાગીદાર અથવા તેની નોકરીમાં હોય તેવી વ્યક્તિ.
૪) જે વ્યક્તિ ₹ ૧,૦૦૦ થી વધુ રકમ માટે કંપનીનો દેવાદાર હોય અથવા કંપનીએ કોઈ ત્રાહિત વ્યક્તિને આપેલી ₹ ૧,૦૦૦ થી વધુ રકમની લોન માટે જેણે બાંહેધરી કે જામીનગીરી આપી હોય તેવી વ્યક્તિ.
૫) કંપનીધારાના ૨૦૦૦ ના સુધારાથી જૂની ૫ અને ૬ નંબરની જોગવાઈઓ રદ થઈ છે અને આ નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. જે મુજબ કોઈ વ્યક્તિ કંપનીની જામીનગીરી ધારણ કરતી હોય તો ૨૦૦૦ ના સુધારા પછી તે એક વર્ષ બાદ તે ઓડિટર તરીકે ગેરલાયક ગણાશે. અહીં જામીનગીરી એટલે એવું ખતપત્ર જે મતાધિકાર હોય.
૬) ઉપર જે ૫ ગેરલાયકાતો જણાવવામાં આવી છે તે મુજબ જો કોઈ વ્યક્તિ એક કંપનીની ગૌણ કંપનીમાં અથવા શાસક કંપનીમાં કે તેની શાસક કંપનીની બીજી કોઈ ગૌણ કંપનીમાં ગેરલાયક સાબિત થાય તો તેને પ્રથમ કંપનીમાં ઓડિટર તરીકે નિમી શકાય નહીં.
૭) આ ઉપરાંત ૧૯૪૯ ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટની કલમ ૮ મુજબ અમુક સંજોગોમાં ઓડિટર ગેરલાયક ઠરે છે.
૮) જો કોઈ વ્યક્તિ ઓડિટર તરીકે નિમાયા પછી ઉપર જણાવેલ કોઈ પણ ગેરલાયકાત હેઠળ આવે તો તેણે પોતાનો હોદ્દો છોડી દીધેલો ગણાશે.