અન્વેષણનો અર્થ અને ઓડિટિંગ તથા અન્વેષણ વચ્ચેનો તફાવત
પ્રસ્તાવના:- આર્થિક વ્યવહારોની નોંધ કરવાને નામું કહેવાય છે. આવા નોંધાયેલા વ્યવહારોને વર્ષના અંતે વ્યવસ્થિત રજૂ કરવાની કળાને નામાપદ્ધતિ કહેવાય છે. આ લખાયેલા હિસાબો સાચા છે કે નહીં તેની ખાતરી કરવા માટે જે તપાસ કરવામાં આવે તેને ઓડિટિંગ કહેવાય છે. જ્યારે ઓડિટ થયેલા હિસાબોને કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કોઈ ખાસ હેતુ માટે ઊંડાણપૂર્વક, વિગતવાર અને તલસ્પર્શી તપાસને અન્વેષણ (Investigation) કહેવામાં આવે છે.
અર્થ (અન્વેષણ): આમ જ્યારે ધંધો ખરીદવા ઇચ્છતી વ્યક્તિ, ધંધાને લોન આપવા માંગતો લેણદાર, અથવા દગો કે છેતરપિંડીની શંકા હોય ત્યારે ધંધાનો માલિક કે ભાવિ ભાગીદાર ધંધાની નફો કમાવવાની શક્તિ અને તેની આર્થિક સ્થિતિ જાણવા હિસાબોની તપાસ કરાવે છે, તેને અન્વેષણ કહેવાય છે.
વ્યાખ્યા: “ચોક્કસ હેતુથી હિસાબોની ઊંડી તપાસ કરવામાં આવે તેને અન્વેષણ કહેવાય છે.” — સ્પાઇસર અને પેગ્લર
ઓડિટિંગ અને અન્વેષણ વચ્ચેનો તફાવત
| મુદ્દાઓ | ઓડિટિંગ | અન્વેષણ |
|---|---|---|
| ૧. વ્યાખ્યા | ઓડિટિંગ એટલે હિસાબોના સાચાપણાની તપાસ. | અન્વેષણ એટલે કોઈપણ ખાસ હેતુ માટે હિસાબોની તપાસ. |
| ૨. ઉદ્દેશ્ય | હિસાબો સાચા લખાયા છે કે નહીં અને પાકું સરવૈયું સાચી પરિસ્થિતિ રજૂ કરે છે કે નહીં તે જાણવાનો. | અન્વેષણ કોઈ ખાસ હેતુઓ માટે કરવામાં આવે છે. દા.ત. લોન આપનાર લેણદાર કે ભાવિ ભાગીદાર ધંધાની કમાણીની શક્તિ જાણવા કરાવે છે. |
| ૩. કોણ કરાવે | ઓડિટ ધંધાના માલિક દ્વારા કરવામાં આવે છે. દા.ત. શેરહોલ્ડરો કે ભાગીદારો. | ધંધાના માલિક ઉપરાંત ત્રાહિત પક્ષકારો પણ અન્વેષણ કરાવે છે. |
| ૪. ફરજિયાત | કંપની ધારા મુજબ જોઇન્ટ સ્ટોક કંપનીઓના હિસાબોનું ઓડિટ ફરજિયાત છે. | કોઈ કાયદા હેઠળ કોઈપણ પ્રકારના ધંધાનું અન્વેષણ ફરજિયાત નથી. |
| ૫. તપાસેલા હિસાબો | આ હિસાબો પહેલા કોઈએ તપાસ્યા હોતા નથી. તે પ્રથમવાર જ તપાસાય છે. | જે હિસાબોનું અન્વેષણ કરવાનું હોય તે મોટાભાગે ઓડિટ થયેલા જ હોય છે. |
| ૬. સમય | સામાન્ય રીતે ઓડિટ એક વર્ષનું હોય છે. | અન્વેષણ સંજોગો પર આધારિત છે. તે ૩ થી ૭ વર્ષનું પણ હોય છે. |
| ૭. ચોપડાની તપાસ | ફક્ત હિસાબોના ચોપડા જ તપાસવામાં આવે છે. | હિસાબોના ચોપડા ઉપરાંત તેના ઉદ્દેશ્ય મુજબ અન્ય બાબતો પણ તપાસવામાં આવે છે. |
| ૮. પ્રાયોગિક તપાસ | ઓડિટમાં પ્રાયોગિક તપાસ (Test Checking) કરવામાં આવે છે. | અન્વેષણમાં વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે. |
| ૯. હવાલાઓ | માત્ર દ્વિનોંધી પદ્ધતિ મુજબના જ હવાલાઓ નાખેલા હોય છે. | ઉદ્દેશ્ય અનુસાર કેટલાક નવા હવાલા નાખવા આવશ્યક છે. |
| ૧૦. તલસ્પર્શી તપાસ | જ્યાં શંકા લાગે ત્યાં જ ઓડિટર ઊંડાણમાં તપાસ કરે છે. | ખૂબ જ ઊંડાણમાં જઈને તપાસ કરવામાં આવે છે. |
| ૧૧. કોણ કરે | વ્યવસાયમાં નવો ઓડિટર (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) પણ ચાલે. | અન્વેષણ માટે અનુભવી અને સિનિયર વ્યક્તિને કામ સોંપવામાં આવે છે. |
| ૧૨. કાર્યક્ષેત્ર | ઓડિટરનું કાર્યક્ષેત્ર પૂર્વ નિર્ધારિત હોય છે. | અન્વેષણનું કાર્ય સંજોગો અનુસાર સીમિત કે વિશાળ હોઈ શકે. |